Friday, December 7, 2012

વાડીમાથી મહેલમાં





હજી પણ યાદ છે,  સાવલી ગામની કોદરલાલની  નિશાળ, વાડીમાં  ચાલતી,   શાળામાં  એક જ મોટો રૂમ ,  એક  ધોરણમાંથી બીજા ધોરણમાં જવું હોય તો બે લાકડા ના  થાંભલા પાર કરો  એટલે બીજા ધોરણમાં , આ રીતે હું પણ એક વાર બેસી ગયો તો બીજા જ કોક ધોરણમાં  ઼    મારી સાથેના માખી મારતા મિત્રો નહી જોયા, તેથી થયું કે  લે આ તો કાંક  બીજે જ  જઈ  બેઠો, ઝાઝુ કોઈ પૂછનાર નહોતું,   તેથી શાંત તોફાનોની  શરુઆત ત્યાંથી  જ થઈ .  હા પણ એ ખરું કે આ શાળામાં મેં માર ખુબ ખાધો હતો, તેથી જ મને ખાસ શાળાએ જવાનું ગમતું નહિ . શાળામાં વચે ખુલ્લો ચોક હતો .  ત્યાં રીસેસ માં અમે મિત્રો પકડા પકડી રમતા અથડાય પડતા  , રોજ સવારે ચટપટાવાળા  પાથરણા પાથરવા અમે  ઝઘડતા .  ક્યારેક  વાડી હોવાને કારણે  આગલે દિવસે  વધેલા શાક અને દાળ ની  ગંધ પણ આવતી, વધેલા પતવાળા શાળાનાજ આંગણ માં  ડુક્કરો  ચુથતા હોય તે ક્યાં થી ભૂલાય ? 


પણ પછી એક દિવસ અમારું ભાગ્ય બદલાયું, શાળા નું નામ અને સરનામું પણ બદલાયું , અમે વાડીમાંથી  જઈ ચડ્યા જાણે મહેલમાં, કમાનવાળી  શાળાના દરવાજા અને બારીઓની  ડીઝાઈનને કારણે મને તો 'ગંગોતરી' મહેલ જ લાગતી . હા, મોટા ભાગના અમે 'ગંગોતરી' જ કેહતા . અથવા સ્વામીજીની શાળા .  હવે અમારે પાથરણા  પાથરવાના  નહોતા,  કારણ નવી નકોર પીળા પોલીશવાળી  બેન્ચ પર અમે બેસતા હતા . નવી નક્કોર  બેંચ પર  પરિકરથી અમારું નામ  કોતરતા,  અને મહિનાઓ  સુધી એમ લાગતું કે એ બેંચ અમારી જ .  પણ ધીરે અમારા નામ ઝાંખા થતા,  એની ઉપર કોક બીજુ  નામ કોતરતું , અમારી બેંચ અમારી નહિ રહેતી જાણે કે બેન્ચપાઠ (રાજપાઠ નહિ) છીનવાય જતો .    આખરે આ શાળા એ જવાનું ગમવા માંડ્યું  . અને માર તો પડતો જ નહિ . હા નિશાળમાં એટલું હતું કે એક ધોરણ એક જ રૂમમાં કાઢવાનું રહેતુ . બીજા ધોરણના  મિત્રો શું કરે છે  તેના ડાફા નહિ મરાતા . 

બીજા ધોરણથી પરીક્ષાના માર્ક આવવાના  શરુ થયા, મોકાણ પણ શરું  થઈ, માર્ક પાછળ ભાગવાની  . કાયમ મારો નંબર  બીજો જ રહ્યો . પહેલો હાર્દિક શાહ, બીજો હું  અને ત્રીજો ભરત મકવાણા . તેનો રંજ લાંબો સમય રહ્યો  . મનહર ભાઈ સ્વભાવે ઘણા કડક  લાગતા, એમની સાથે અમારો ક્લાસ સૌરાષ્ટ્રના  પ્રવાસે  પણ ગયો તો , પ્રવાસનો એક પ્રસંગ આજે પણ રમુજ અપાવે છે,  અમારો એક મિત્ર મનહરભાઈથી સખત બીએ . એને થઇ લઘુશંકા, એને થાય કે  કેમનું કેહવું કે બસ ઉભી રાખે, તેથી તેણે લઘુશંકાકાર્ય  બસમાં  વોટરબેગમાં જ પતાવ્યું  .  ચાલતી બસમાં  જેવો એ  વોટરબેગ ફેકવા ગયો ત્યારે બધાને  ખબર પડી, હજી આજે પણ હસવું રોકી નથી  શકાતું .   તો મારી એક વાત . જીવન માં  પેહલી જ વાર એક છોકરીને  વર્ષગાંઠ નિમિતે ગીફ્ટ  આપવા મન ત્રીજા ધોરણમાં લલચાયું , તેનું  ફક્ત નામ મે બે પાનાં પર એકસો આઠ વાર લખ્યું હતું , અને એજ મારી તેની વર્ષગાંઠની ગીફ્ટ . પછી તો આખા ક્લાસમાં  ખબર પડી અને મનહરભાઈએ  અંગુઠાય પકડાવ્યા હતા . દિવસો સુધી શરમ લાગતી,  ક્લાસમાં જવાનું ગમતું નહિ કારણ મિત્રો મજાક ઉડાવતા .  

  'ગંગોત્રી' આદર્શ શાળા બની રહે  તે માટે સ્વામીજીના પ્રયત્નો રંગ લાવ્યા હતા એ શરૂના વર્ષોમાં . વર્ષો પછી   જયારે હું ગંગોત્રી  અને હિમાલયના  વિસ્તારોમાં ફર્યો ત્યારે મને ગંગોત્રી નામ નું   મહાત્મ્ય  સમજાયું, અને એની પાછળનું  પૂ . સ્વામીજીનું દર્શન  (વીસન )  પણ થોડુક સમજાયું .    હજી આજે પણ જયારે હિમાલયમાં ફરવાનું શક્ય બને છે ત્યારે મનોમન  ગંગોત્રી શાળાના પ્રેરક પૂ . સ્વામીજી ને મનોમન પ્રણામ થઈ જ જાય છે .